Devbhoomi Dwarka News: મહાન ભક્ત મીરાબાઈની 525મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી દિલ્હી તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે તારીખ 21,22 તથા 23 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ત્રણ દિવસ “મીરા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ભક્ત મીરાબાઈ ઉપર નૃત્ય નાટિકા, મીરાબાઇના ભજનો, મીરાબાઈના જીવન પર નાટય જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ કલાકારો શ્રી અનુપ જલોટા, લલિતાબેન ઘોડાદ્રા, શ્રીરામ ભારતીય કલા કેન્દ્ર દિલ્હી, છત્તીસગઢના મમતા આહર, મહારાષ્ટ્રના અજય પોહાનકર, તમિલનાડુના સિક્કલ ગુરુચરણ, હેમંતભાઈ ચૌહાણ જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા મીરાબાઈ પરની કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યકમ મહાનુભવો હસ્તે તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 કલાકે સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપનએર થિયેટર ખાતે પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.