Amreli News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી શહેર અને જિલ્લાને એક જ દિવસમાં રૂપિયા 292 કરોડના 77 વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડમેપનો ચિતાર આપતા જણાવ્યું કે, વડાપ્રધાને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસપોર્ટ આપીને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે. એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે અત્યાધુનિક બસપોર્ટની શરૂઆત થઈ છે. અમરેલી ખાતે રૂપિયા 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટથી અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક એસ. ટી બસ પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે. એટલું જ નહીં, આ બસપોર્ટ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરીને આપણે ઝડપભેર આગળ વધવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની એક નવીન કેડી કંડારી છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાલ વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ હવાઈ સફર કરનારા નાગરિકોને જેવી સુવિધાઓ મળે તે પ્રકારની સુવિધાઓ સામાન્ય નાગરિકને પણ મળે તે રીતે વિવિધ વિકાસના આયામો હાથ ધર્યા છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વિકાસકાર્યો અમલમાં મૂકાવાના છે ત્યારે આ કાર્યો ગુણવત્તાયુક્ત થાય તે માટે નાગરિકો પણ દરકાર અને કાળજી રાખે તો જ આપણે વિકાસનો જે રોડમેપ નિર્ધારિત કર્યો છે તેને હાંસલ કરી શકશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના જે મંત્રથી આગળ વધવાનો જે પથ કંડાર્યો છે તે પથ પર મક્કમતાપૂર્વક આગળ વધીને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.
તાજેતરમાં જ વડાપ્રધાનએ ગુજરાતને રૂપિયા 8000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે ત્યાં સુધી વિકાસ અને વિકાસની ગતિ ક્યાંય રોકાવાની કે અટકવાની નથી. વડાપ્રધાનના નેતૃત્વમાં આજે છેવાડાના ગામ સુધી રોડ-રસ્તા, પાણી, વીજળી પહોંચી છે તેની સફળતાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ભૂપેન્દ્રભાઈએ વડાપ્રધાનના જન્મદિવસે રાજ્યભરમાં શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું કે, સ્વચ્છતા એક દિવસ નહીં પરંતુ હરહંમેશ માટે આપણા સ્વભાવનો ભાગ બનવો જોઈએ. સહિયારા પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવી શકાય તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લામાં થયેલા અને થવાના વિવિધ વિકાસકાર્યોની વિગતો આપતા કહ્યું કે, જ્યારે-જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સહૃદયતા અને સરળતા છે કે, પ્રજાના ગમે તે કામો લઈને જઈએ તો તે આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવે છે. કોઈપણ પ્રકારના રાગદ્વેશ વગરના નિર્લેપ મુખ્યમંત્રીની કાર્યશૈલીને તેમણે હૃદયથી બીરદાવી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લાના આંગણે ત્રિવિધ કાર્યક્રમ નિમિત્તે મુખ્યમંત્રી અમરેલીના આંગણે પધાર્યા છે અને સમગ્ર દિવસ અમરેલી જિલ્લાને ફાળવ્યો છે. તે આનંદની વાત છે. મુખ્યમંત્રીએ આજે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાને અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. જેનાથી અમરેલી જિલ્લાની વિકાસની ગતિ વધુ તેજ થશે.
મુખ્યમંત્રીદ્વારા ખેડૂતોના વ્યાપક હિતમાં ખેડૂતખરાઈનો નિર્ણય કરવા માટે અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લિંબાણી, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડ્યા, એસ.ટી. નિગમ સચિવ રવિ નિર્મળ, એમ.ડી અનુપમ આનંદ, જનરલ મેનેજર જોશી, મુખ્ય બાંધકામ ઈજનેર આર.એમ.સોલંકી,નાયબ ઈજનેર એચ.આર.મોરધરા તેમજ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપર નીલા ટર્મિનલ્સના ડિરેક્ટર વિમલભાઈ કથિરિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, અગ્રણી ભૂપેન્દ્રભાઈ સહિત અગ્રણીઓ, ખેડૂત આગેવાનઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.