Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 30-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ પણ ધરાવાયો છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ શણગાર કરાયો છે. દાદાના સિંહાસને વડોદરાથી મંગાવેલા 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ સાથે દાદાને થાઈલેન્ડથી બનાવીને મોકલેલા આંકડાના ફુલથી ગૂંથેલો હાર પહેરાવાયો છે અને સિંહાસને ઝુમ્મર પણ આંકડાના ફૂલને ગૂંથીને બનાવવામાં આવ્યા છે. તો વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશી વર્કવાળા પ્યોર સિલ્કના વાઘા દાદાને પહેરાવ્યા છે.