gujarat24

Vadodara: વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા 65 મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ, 26860 મેટ્રીક ટન ભીના કચરાનું બનાવાયું ખાતર

Vadodara News: વડોદરામાં તાજેતરમાં આવેલી પૂરની વિભિષિકા બાદ શહેરને ચોખ્ખુ ચણાક કરવા માટે મહાપાલિકા દ્વારા કરાયેલા પરિશ્રમના કેટલાક સુંદર પરિણામો પણ સામે આવ્યા છે. પૂર બાદ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી સફાઇ ઝૂંબેશમાં નીકળેલા કચરાને પણ રિસાયકલ કરવામાં આવ્યો છે. પૂરમાં રાહત અને બચાવની કામગીરી સાથે પર્યાવરણીય નુકસાન કરતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

ઓગસ્ટ માસમાં આવેલા પૂર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે મહાપાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સફાઇ કરવામાં આવી હતી. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સફાઇ યુદ્ધને ધોરણે ચાલી હતી અને તેમાં અનેક પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, સામાન્ય રીતે પૂર બાદની સ્થિતિમાં ગંદકીના કારણે રોગચાળો પ્રસરવાની શક્યતા હોય છે. એ વાતને કેન્દ્ર સ્થાને રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 758 જેટલા વાહનો અને મશીનરીના સહાયે શહેરને ચોખ્ખુ ચણાક કરવામાં આવ્યું હતું.

જેમાં 429 કલેક્શન વાન, 29 ગ્રેબ બકેટ, 25 જેટિંગ મશીન, 19 સક્શન મશીન, 5 સુપર સકર મશીન, 3 રિસાયક્લર મશીન, 96 જેસીબી મશીન, 66 ડમ્પર અને 86 ટ્રેક્ટરને સફાઇ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. સલામ તો સફાઇકર્મીઓને પણ કરવી જોઇએ. અન્ય શહેરોના મળી કુલ 4200 સ્વચ્છતાકર્મીઓ દ્વારા દિનરાત શહેરને સાફ કરવા માટે મહેનત કરવામાં આવી હતી.

આ મહેનતને પરિણામે શહેરના ચારેય ઝોનના તમામ ૧૯ વોર્ડમાં તારીખ 29/08/2024થી તારીખ 13/10/2024 સુધી કૂલ 61805 મેટ્રીક ટન કચરો  નીકળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, અનેક સોસાયટીની બહાર ભીનું અનાજ છોડી દેવામાં આવ્યું હતું. આ ભીનું અનાજ જ રોગચાળાનું કારણ બનતું હોય છે. એટલે તેને તત્કાલ એકત્ર કરવામાં આવ્યું હતું.

લાગલગાટ 43 દિવસ સુધી ચાલેલી સફાઇ કામગીરી દરમિયાન નીકળેલા 61805 મેટ્રિક ટન કચરા પૈકી 26860 મેટ્રીક ટન ભીનો કચરો મકરપુરા ખાતે પ્રોસેસિંગ કરી ખાતર બનાવવામાં આવ્યું તો સૂકા કચરામાંથી રિફયુઝડ ડીરાઇવડ ફયુલ પણ બનાવવામાં આવ્યું. 

હવે વાત પ્લાસ્ટિક કચરાની! પૂર દરમિયાન પ્લાસ્ટિક કચરાની પણ સમસ્યા હતા. આ ઝૂંબેશ દરમિયાન અધધધ.. કહી શકાય એટલો 65 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેને અટલાદરા ખાતેની પ્રોસેસિંગ, રીસાયકલિંગ ફેસિલિટી ખાતે રિસાયકલિંગ કરવામાં આવ્યો. આ પ્રકારના કચરામાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવ્યા. આ ઉપરાંત કૂલ 179 મેટ્રીક ટન કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *